
છોટાઉદેપુર: બોડેલીના અમનપાર્ક ખાતે ઇસ્લામના સ્થાપક હઝરત મોહમ્મદ પેગંબર સાહેબના પવિત્ર પરિવાર એટલે કે એહલે બેતની યાદમાં પરંપરાગત રીતે યોજાતી કવાલી મહેફિલે સમાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સૈયદો સાદાતની વિશેષ ઉપસ્થિતિ સાથે બોડેલી નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એહલે બેતની યાદમાં આયોજિત મહેફિલે સમામાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ મહેફિલમાં દિલ્હીના મશહૂર કવાલ ચાંદ કાદરીના સુપુત્ર નજીર અલી કાદરી દ્વારા દિલને સ્પર્શી જાય તેવી કવાલીઓ રજૂ કરવામાં આવી હતી. અને સમગ્ર વાતાવરણમાં ભક્તિ રંગ છવાઈ ગયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૈયદ સાદાત ઉપસ્થિત રહ્યા હતા.


તેમના ઉપરાંત સૈયદ સાબિર અલી બાવા, સૈયદ શફી બાવા, સૈયદ અલી રઝા બાવા, સૈયદ રફીક ચિસ્તી બાવા તેમજ યુસુફ સાહેબ સૂફી જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. તમામ મહેમાનો દ્વારા એહલે બેતના ત્યાગ, બલિદાન અને માનવતા માટેના સંદેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.મેહફિલે સમાના આ આયોજનને લઈને બોડેલી શહેરમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી લોકો પરિવાર સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો અંતે રોશની યંગ કમિટીના આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, કવાલ કલાકારો અને નગરજનોનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો અને બોડેલીમાં ધાર્મિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સલમાન મેમણ – એડિટર ઈન ચીફ
(જાણશે ગુજરાત સાપ્તાહિક અખબાર અને ડિજિટલ)