છોટાઉદેપુર: મનરેગા બચાવો સંગ્રામ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર શહેરના સરદાર બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલી ‘જી રામજી યોજના’ કરવાની પ્રક્રિયા સામે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશીકાંતભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓના કોંગ્રેસ સમિતિના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને “મહાત્મા ગાંધી અમર રહો” તથા “મનરેગા બચાવો” જેવા નારા લગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.આ ધરણા દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરી મનરેગા યોજનાને યથાવત્ રાખવાની માંગ કરવામાં આવી હતી.