જ્યોર્જની કાર્ડિનલ તરીકે નિમણૂક દેશ માટે ખુશી-ગર્વની વાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
Spread the love

નવી દિલ્હી: ખ્રિસ્ત ધર્મના વડા પોપ ફ્રાન્સિસ દ્વારા ભારતીય પાદરી આર્કબિશપ જ્યોર્જ જેકબ કુવાકડને રવિવારે કાર્ડિનલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની નિમણૂકને દેશ માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત ગણાવી છે. તેમણે કહ્યું હતું કે જ્યોર્જ કુવાકડે ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે માનવતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ તરીકે જ્યોર્જ જેકબ કુવાકડની નિમણૂક કરવા બદલ આનંદ થયો.

વડાપ્રધાને કહ્યું હતું કે જ્યોર્જ કાર્ડિનલ કુવાકડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રખર અનુયાયી તરીકે માનવતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ છે. વેટિકન ખાતે શનિવારે આયોજિત ભવ્ય સમારંભમાં પોપ ફ્રાન્સિસ દ્વારા 51 વર્ષીય કુવાકડને કાર્ડિનલના પદ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રખ્યાત સેન્ટ પીટર્સ બેસિલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશ્વભરના પાદરીઓ અને મહાનુભાવોએ ભાગ લીધો હતો અને તેમાં  વિવિધ દેશોના 21 નવા કાર્ડિનલ્સને સામેલ કરવામાં આવ્યા હતા. સમારંભની શરૂઆત રાત્રે 8:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) થઈ હતી, જેમાં 21 કાર્ડિનલ્સના નામ સાથે શાભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ, પોપે તમામને સંબોધન કર્યું હતું અને પદગ્રહણ કરનારા નવા કાર્ડિનલ્સને પરંપરાગત ટોપી અને વીંટી અર્પણ કરી હતી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. કુવાકડની નિમણૂક સાથે, ભારતીય કાર્ડિનલ્સની કુલ સંખ્યા વધીને છ થઈ ગઈ છે, જેનાથી વેટિકનમાં દેશનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here