નવી દિલ્લી : કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રોડ નિર્માણમાં ખામીઓ અંગેના સવાલના જવાબમાં ગુરુવારે લોકસભામાં ફરી આકરો સંદેશો આપતા જણાવ્યું હતું કે યાદ રાખો, મેં અગાઉ જાહેર સભામાં કહ્યું છે કે જો કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામ નહીં કરે તો તેમને બુલડોઝર નીચે નાખી દેવામાં આવશે. આ વર્ષે હું તેમની સામે કડક પગલાં લઇને ઠીક કરીશ, અમે જરાય સમાધાન નહીં કરીએ.
પ્રશ્નકાળ દરમિયાન રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલના પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કોન્ટ્રેક્ટરોને ફટકારીને સીધા કરી દેવાશે. તેમણે કહ્યું કે તેમના વિભાગે રૂ.50 લાખ કરોડા કામ કર્યા છે, સંપૂર્ણ પારદર્શકતા સાથે અને સમયસર કર્યા છે જેના પરિણામ જોવા મળે છે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નિર્માણમાં બેદરકારી બદલ ચાર કોન્ટ્રેક્ટર સામે આકરી કાર્યવાહી કરાશે, બ્લેકલિસ્ટ કરી દેવાશે.
લોકોને કાયદાનો ડર કે આદર નથી
ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ ઘટાડવા માટે સરકારના સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ જાનહાનિ વધી રહી છે, કારણ કે લોકોને કાયદાનો આદર છે કે તેનો ડર નથી. તેઓ પોતે માર્ગ અકસ્માતનો ભોગ બન્યાં છે અને આ મુદ્દાને લઈને સંવેદનશીલ છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા ગડકરીએ જણાવ્યું હતું કે લોકોને કાયદાનું સન્માન કે કાયદાનો ડર નથી. લોકો રેડ સિગ્નલ પર રોકાતા નથી, હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ ન પહેરવાને કારણે 30,000ના મોત થાય છે.