છોટાઉદેપુર : સત્તા વસ્તુ એવી છે કે તેને લઈને કમઠાણ થયા જ કરે છે. તેમા પછી તે રાજકારણ હોય કે ટ્રસ્ટ જેવી સેવાભાવનાની બાબત હોય. છોટાઉદેપુરમાં ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં સત્તાના આ કમઠાણે વેગ પકડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ પુરાવો છે કે સેવા ભાવનાની ઇરાદાથી બનાવવામાં આવેલા ટ્રસ્ટમાં પણ સત્તાની સાઠમારી સર્જાય છે ત્યારે કેવી સ્થિતિનું સર્જન થાય છે.બોડેલીના ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કંચન પટેલની સામે અને શાંતિલાલ ભગતની સામે એફઆઇઆર નોંધાઈ છે. આ કંચન પટેલ પાછા છોટાઉદેપર જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ છે. ભાજપના જ તાલુકા પંચાયતના સભ્ય અને એપીએમસીના ડિરેક્ટર દિવ્યેશ પટેલે કંચન પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે કંચન પટેલે ટ્રસ્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે એનઆરઆઈ લોકોને ટ્રસ્ટમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત કંચન પટેલ ટ્રસ્ટમાં બેફામ ગેરરીતિ કરી રહ્યા હોવાનો આરોપ પણ દિવ્યેશ પટેલે પોલીસ સમક્ષ કરેલી એફઆઇઆરમાં કર્યો છે.તેમણે આ વાત પર વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કંચન પટેલે ટ્રસ્ટની સામાન્ય સભામાં સભ્યોની ખોટી સહીઓ કરીને ઠરાવ કરાવી લીધો છે. આ પ્રકારની ઘટના ટ્રસ્ટ એક્ટનું ઉલ્લંઘન તો કરે જ છે, પરંતુ તેની સાથે તે ગુનો પણ નોંધે છે. આના પગલે બોડેલીની પોલીસે બીએનએસ કલમ 336(2), 336(3), 338, 340 (2), 237, 238, 61 મુજબ ફરિયાદ નોંધી છે અને આખા પ્રકરણની તપાસ શરૂ કરી દીધી છે. હવે આ તપાસનું શું પરિણામ આવે છે તેની ખબર આગામી દિવસોમાં થશે. જો કે કંચન પટેલ જેવા મોટા નામ સામે થયેલી ફરિયાદના લીધે તથા ભાજપના જ બે મોટા ખેલાડીઓ સામ સામે આવી જતાં સ્થાનિક રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો છે.

૬ સભ્યો જ હાજર હોવા છતાં ખોટી સહીઓ કરી ૮ ઠરાવ પસાર કર્યા
૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ મળેલી ટ્રસ્ટની સાધારણ સભામાં ૨૩ સભાસદો પૈકી માત્ર ૬ હાજર હતા અને ૧૭ સભ્યો ગેરહાજર હતા. તેમ છતાં ઠરાવ બુકમાં ૨૩ સભ્યોની હાજરી બતાવીને સહી થયેલ હતી. સામાન્ય સભા બોલાવનાર પ્રમુખ કંચનભાઈ તથા મંત્રી શાંતિલાલભાઇએ સામાન્ય સભાની મીટિંગ બુકમાં હાજર નહિં રહેલા ૧૭ સભાસદોની ખોટી સહીઓ કરી અલગ-અલગ કુલ-૮ ઠરાવો પસાર કર્યા હતા.
કયા ચાર ટ્રસ્ટી અમેરિકન નાગરિક
હાજર ૬ સભાસદે નવા બનાવેલ ટ્રસ્ટી જેમાં પ્રીત નટવર પટેલ તા.૧૦-૮-૨૪ના રોજ એફિડેવિટમાં, નરેન્દ્ર બિહારીલાલ ભગત (પટેલ)એ તા.૧૭-૮-૨૪ના રોજ કરેલ એફિડેવિટમાં અશોક મદનમોહન પટેલે તા.૧૭-૮-૨૪ના રોજ એફિડેવિટમાં કાંતિભાઈ હરગોવિંદ પટેલે તા.૬-૧૨-૨૪ના રોજ કરેલ એફિડેવિટમાં ૪ ટ્રસ્ટીએ તેમના એફિડેવિટમાં પ્રમુખ કંચનભાઈ પટેલ સમક્ષ જણાવેલ છે કે, તેઓ બિનરહીશ ભારતીય નથી. અને વિદેશી નાગરિકત્વ ધરાવતા નથી.પરંતુ ખરેખર આ ચારે ટ્રસ્ટીઓ હાલ ભારત દેશના નાગરિક નથી. પરંતુ અગાઉ તેઓ ભારત દેશનું નાગરિકત્વ ધરાવતા હતા. અને તે સમયે તેમની પાસે ભારત દેશના ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો ધરાવતા હતા. અને હાલ તેઓ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે.